ગુજરાત રાજ્યમાં સરકારમાન્ય સસ્તા અનાજની દુકાનો ધરાવતા રેશનશોપ ધારકોના એસોસિએશને ફરીથી આંદોલનનું બ્યુંગલ ફૂક્યું છે. થોડા દિવસ પૂર્વે આદરેલી લડતના અંતે રાજ્ય સરકારના પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રશ્નના નિરાકરણ માટે મળેલી ખાતરી ફોક થઇ હોવાનું જણાવી રેશનશોપ એસોસીએશને ફરીથી બાયો ચડાવી અને હવે આવતીકાલ તા.૧ નવેમ્બરથી અસહકાર આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારી છે જેના કારણે તહેવારોના દિવસોમાં જ અનાજ-કઠોળ સહિતના સરકારી પુરવઠાના વિતરણ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં ૭૦૦ જેટલી રેશનશોપ આવેલી છે. જે તમામ સમિતીઓ આવતીકાલથી આંદોલનનો અંત ન આવે ત્યાં સુધી બંધ રહેશે.!
ઓલ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસો.ના પ્રદેશ પ્રમુખ મહિપતસિંહ ગોહિલે અસહકાર લડતની જાહેરાત કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક રેશનશોપ ધારકોને ઓછામાં ઓછુ મહિને રૂા.૨૦ હજાર આર્થિક વળતર મળે તેવી અમારી વ્યાજબી માંગ છે. થોડા દિવસ પૂર્વે આંદોલન છેડાતા પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ દરમિયાનગીરી કરીને આ વ્યાજબી માંગણીનો સ્વિકાર કર્યો હતો અને દરેક રેશનશોપ ધારકને મિનીમમ રૂા.૨૦ હજાર કમિશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા ખાત્રી આપી હતી. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ પણ આ મામલે હૈયાધારણા આપી હતી પરંતુ અમને અપાયેલું વચનનું પાલન થયું નથી આથી અમારી માગણીનો ઉકેલ નહીં મળતા ફરીથી આંદોલન છેડવું પડ્યું છે. આ લડતમાં ગુજરાતના બન્ને એસોસીએશનો સંયુક્ત રીતે સાથે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પ્રમુખ મહિપતસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, જ્યાં સુધી અમારી માગણીનો સ્વિકાર નહીં થાય ત્યાં સુધી નવેમ્બર માસની પરમીટ કે વેચાણ અંગે કોઇ કામગીરી હાથ નહીં ધરવામાં આવે. પૂરવઠાનો ઉપાડ પણ કરવામાં નહીં આવે. આમ, રેશનશોપ ધારકોની અસહકાર લડતને લઇને દિવાળીના તહેવારોમાં જ પુરવઠાના વિતરણ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શું નિર્ણય થાય તેના પર સૌની નજર છે.
ગુજરાતમાં ૧૭ હજારથી વધુ રેશનશોપ કાલથી બંધ રહેશે
મિનીમમ કમિશનની માંગણીને લઇને રાજ્ય સરકાર સામે જંગે ચડેલા ગુજરાતના રેશનશોપ ધારકો કાલથી દુકાનોના શટર નહીં ઉચકે. ગુજરાતમાં ૧૭ હજારથી પણ વધુ રેશનશોપ આવેલી છે. ગુજરાત રાજ્ય શોપ એન્ડ કેરોસીન હોલ્ડ એસો. અને ઓલ ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ એસો. એમ બે એસોસીએશન તળે ૧૭ હજારથી વધુ દુકાનો નોંધાયેલી છે જેમાં એક એસો.માં વડાપ્રધાનના ભાઇ પ્રહલાદભાઇ મોદી પ્રમુખ પદે છે જેઓ ખુદ હવે રેશનશોપ ધારકોની માગણીને લઇને રાજ્ય સરકાર સામે મેદાને પડ્યા છે.!