બાલાસોરમાં થયેલી ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા અનેક પરિવારો સાવ બરબાદ થઈ ગયા, જ્યારે કેટલાય બાળકો અનાથ પણ બન્યા. સેહવાગે માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણનો બોજ ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે દુઃખની આ ઘડીમાં તે ઓછામાં ઓછી આટલી મદદ કરી શકે છે. આ માટે ‘વીરુ’એ હરિયાણા સ્થિત તેમની ‘સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ’માં બોર્ડિંગ સુવિધા હેઠળ શિક્ષણ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.સેહવાગે આ દુર્ઘટના દરમિયાન મદદ માટે સ્થળ પર પહોંચેલા લોકોને પણ સલામ કરી હતી, જેમણે લોકોને બહાર કાઢવા, હોસ્પિટલમાં લઈ જવા અને રક્તદાન કરવા જેવી મહત્વપૂર્ણ મદદ પૂરી પાડી હતી.
માત્ર સેહવાગ જ નહીં પરંતુ દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ આવી જ જાહેરાત કરી છે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ પણ રવિવારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે અદાણી જૂથ તેમના માતાપિતા ગુમાવનારા બાળકોના શાળાકીય શિક્ષણનો બોજ ઉઠાવશે.






