કાશ્મીરમાં યોજાનારી જી-20 બેઠકને કારણે હવે પાકિસ્તાનમાં બેચેની જોવા મળી રહી છે. આ તરફ પાકિસ્તાનનાં વિદેશમંત્રીએ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. પાડોશી દેશના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે કહ્યું કે, ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને ‘કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા’માં સફળ નહીં થાય.
શ્રીનગર 22-24 મે દરમિયાન ત્રીજી G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પહેલી બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણમાં અને બીજી એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં થઈ હતી. ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં G20ની વર્ષભરની અધ્યક્ષતા સંભાળી હતી અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં નવી દિલ્હીમાં નેતાઓની સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને કાશ્મીરમાં G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજવાના નવી દિલ્હીના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી છે, તેને “સ્વાર્થી ચાલ” ગણાવી છે.
એક ખાનગી મીડીયા અનુસાર પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં તેમની ત્રણ દિવસીય મુલાકાતે ઉતર્યા બાદ મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રી બિલાવલે કહ્યું, ‘ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરીને વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવવી શક્ય નથી.’ તેમણે કહ્યું, ‘એ સમયે જ્યારે ભારત કાશ્મીરમાં કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. મને PoJKમાં વિધાનસભાને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બિલાવલે કહ્યું કે તે કાશ્મીરી લોકો સાથે એકતા વ્યક્ત કરવા બાગ જિલ્લામાં એક વિરોધ રેલીમાં પણ ભાગ લેશે.તેમણે કહ્યું, ‘હું માનું છું કે જ્યારે કોઈ દેશ ભારત જેવું પગલું ભરે છે ત્યારે તેનો અસલી ચહેરો દુનિયાની સામે આવે છે.






