તલાટી કમ મંત્રીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા સમગ્ર ગુજરાત રાજ્ય સાથે ભાવનગર જિલ્લાના ૬૬૪ જેટલા ગામોના ૪૫૦ જેટલાં તલાટી-કમ-મંત્રીઓ પણ આજે બીજી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. હાલમાં સરકારના હર ઘર તિરંગા, આઝાદી કા અમૃત મહોત્સવ અને ગ્રામસભાઓ ચાલી રહી છે ત્યારે તલાટી મંત્રીઓ હડતાલ પર જતા સરકારી કાર્યક્રમો ઉત્સવની કામગીરી પણ લટકશે.
ભાવનગર સહિત રાજ્યભરના તલાટી કમ મંત્રીઓના પ્રશ્નો વિવાદ લાંબા સમયથી શરૂ છે. રાજ્ય તલાટી મંત્રી મહામંડળના એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી તેમ જણાવાયુ છે જેથી તમામ તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભાવનગર સહિત રાજ્યભરના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સરકારના કાર્યક્રમોની વણઝાર શરૂ છે. હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું વેચાણ કરવાનું છે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો ચાલુ છે. તેમજ ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ પણ શરૂ છે. ત્યારે આવકના દાખલા, જન્મ મરણ પ્રમાણપત્ર, ખેડૂતના દાખલા સહિતની પ્રજાલક્ષી કામગીરી તો અટવાશે જ, સાથોસાથ સરકારી કાર્યક્રમો પણ ખોરંભે ચડશે.