બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે હજુ પણ રાહત કાર્ય ચાલુ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તમામ અધિકારીઓ પાસેથી અકસ્માતની અપડેટ લઈ રહ્યા છે. વિપક્ષ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ પ્રકારની ઘટનામાં માનવીય સંવેદનશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એટલું જ કહીશ કે હાલ પ્રથમ ધ્યાન બચાવ અને રાહત પર છે.
ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું આ દુર્ઘટના પાછળ કોઈ ષડ્યંત્ર હોઈ શકે છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ બાદ જ આ અંગે કંઈક કહી શકાશે. રેલ મંત્રીએ કહ્યું કે, અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે. અત્યારે સમગ્ર ધ્યાન બચાવ પર છે. ઇજાગ્રસ્તોની સારી સારવાર માટે ટીમો એકત્ર થઈ છે. કમિશનર રેલ સેફ્ટીને પણ અકસ્માતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.





